ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ ।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ॥૨૯॥
ભોક્તારામ્—ભોક્તા; યજ્ઞ—યજ્ઞ; તપસામ્—તપના; સર્વ-લોક—સર્વ લોકના; મહા-ઈશ્વરમ્—પરમ ઈશ્વર; સુ-હ્રદમ્—નિષ્કામ મિત્ર; સર્વ—સર્વ; ભૂતાનામ્—પ્રાણીઓ; જ્ઞાત્વા—એ રીતે જાણીને; મામ્—મને (ભગવાન કૃષ્ણ); શાન્તિમ્—શાંતિ; ઋચ્છતિ—પ્રાપ્ત કરે છે.
BG 5.29: મને સર્વ યજ્ઞોનાં અને તપશ્ચર્યાઓના ભોક્તા, સર્વ લોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
અગાઉના બે શ્લોકમાં વર્ણિત સંન્યાસની સાધના આત્મજ્ઞાન તરફ અગ્રેસર કરે છે. પરંતુ બ્રહ્મજ્ઞાન (ભગવદીય જ્ઞાન) માટે ભગવાનની કૃપા આવશ્યક છે, જે ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. સર્વ લોક મહેશ્વર નો અર્થ છે, ‘સર્વ લોકોના પરમેશ્વર’, અને સુહ્રદમ્ સર્વ ભૂતાનામ્ નો અર્થ છે,‘સર્વ પ્રાણીઓના હિતૈષી’. આ પ્રકારે, શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે સંન્યાસનો માર્ગ પણ સર્વ તપશ્ચર્યાઓ અને યજ્ઞોના ભોક્તા સ્વયં ભગવાન છે એ જ્ઞાન સાથે ભગવાનને શરણાગત થઈને, પરિપૂર્ણ થાય છે. જગદ્દગુરુ કૃપાળુજી મહારાજે આ અંગે સુદર પંક્તિઓ લખી છે:
હરિ કા વિયોગી જીવ ગોવિન્દ રાધે, સાંચો યોગ સોઈ જો હરિ સે મિલા દે (રાધા ગોવિન્દ ગીત)
“આત્મા અનંત સમયથી ભગવાનથી વિમુખ છે. વાસ્તવિક યોગ એ છે કે જે આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે.” તેથી, ભક્તિના સમાવેશ વિના કોઈપણ યોગ પદ્ધતિ પૂર્ણ થતી નથી.
તેમની “ભગવાનની દિવ્ય વાણી”માં શ્રીકૃષ્ણ આધ્યાત્મિક સાધના માટેના સર્વ વાસ્તવિક માર્ગોનો સમાવેશ કરે છે, પરંતુ પ્રત્યેક વર્ણનના સમાપન સમયે તેઓ એમ કહીને તેને ઉપયુક્ત ગણાવે છે કે આ માર્ગોમાં સફળ થવા માટે ભક્તિ પણ આવશ્યક છે. ઉદાહરણ તરીકે, તેઓ આ પ્રસ્તુત પદ્ધતિનો ઉપયોગ શ્લોક ૬.૪૬-૪૭, ૮.૨૨, ૧૧.૫૩-૫૪, ૧૮.૫૪-૫૫ વગેરેમાં કરે છે. અહીં પણ શ્રીકૃષ્ણ આ વિષયનું સમાપન ભક્તિની આવશ્યકતાને પ્રગટ કરીને કરે છે.