તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ ।
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧॥
તાનિ—તેમને; સર્વાંણિ—સમગ્ર; સંયમ્ય—વશમાં રાખીને; યુક્ત:—જોડાયેલા; આસીત—સ્થિત; મત્-પર:—મારા તરફ (શ્રી કૃષ્ણ); વશે—વશમાં; હિ—ખરેખર; યસ્ય—જેની; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; તસ્ય—તેની; પ્રજ્ઞા—ચેતના; પ્રતિષ્ઠિતા–સ્થિર.
BG 2.61: જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
આ શ્લોકમાં, યુક્ત: (જોડાયેલા) શબ્દ ‘ભક્તિમાં તન્મયતા’નું સૂચન કરે છે, મત્ પર: અર્થાત્ “કૃષ્ણ તરફ”. આસીત (સ્થિત) શબ્દ પ્રતીકાત્મક રીતે અહીં “સ્થિર થયેલ” તરીકે સમજી શકાય. નિરંકુશ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવી આવશ્યક છે, એમ સમજાવીને શ્રી કૃષ્ણ હવે તેમને સુચારુ રૂપે પરાયણ કરવાનું વર્ણન કરે છે, જે છે ભગવદ્ ભક્તિમાં તન્મયતા. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણિત રાજા અંબરીષના ઉદાહરણ દ્વારા આ વિધિને સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે:
સ વૈ મનઃ કૃષ્ણપદારવિન્દયો-
ર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ
શ્રુતિં ચકારાચ્યુતસત્કથોદયે
મુકુન્દલિઙ્ગાલયદર્શને દૃશૌ
તદ્ભૃત્યગાત્રસ્પર્શેઽઙ્ગસઙ્ગમમ્
ઘ્રાણં ચ તત્પાદસરોજસૌરભે
શ્રીમત્તુલસ્યા રસનાં તદર્પિતે
પાદૌ હરેઃ ક્ષેત્રપદાનુસર્પણે
શિરો હૃષીકેશપદાભિવન્દને
કામં ચ દાસ્યે ન તુ કામકામ્યયા
યથોત્તમશ્લોકજનાશ્રયા રતિઃ (૯.૪.૧૮–૨૦)
“અંબરિષ રાજાએ તેનું મન શ્રી કૃષ્ણના ચરણ-કમળોમાં સ્થિર કર્યું. તેણે તેની વાણીને ભગવાનનાં અદ્ભુત નામો, રૂપો, ગુણો, અને લીલાઓના મહિમાગાનમાં પરોવી દીધી. તેમણે તેમના કાનનો ભગવાનના વર્ણનો સાંભળવામાં, આંખોનો મંદિરમાં ભગવાનની સુંદર પ્રતિમા નિહાળવામાં, સ્પર્શનો ઇન્દ્રિયથી ભગવદ્-ભક્તોની ચરણ-ચંપીમાં, ઘ્રાણેન્દ્રિયનો પૂજામાં ભગવાનને અર્પણ કરાયેલા સુગંધી પદાર્થોની સુવાસ લેવામાં, પગનો મંદિરની પરિક્રમા કરવામાં અને તેના મસ્તકનો ભગવાન તથા તેના ભકતોને પ્રણામ કરવામાં ઉપયોગ કર્યો. આ પ્રમાણે, તેમણે તેમની સર્વ ઇન્દ્રિયોને ભગવદ્ સેવામાં સમર્પિત કરીને શાંત કરી દીધી.”