ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્ ।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્ ॥ ૧૩॥
ત્રિભિ:—ત્રણ દ્વારા; ગુણ મયૈ:—માયિક પ્રકૃતિના ગુણોથી નિર્મિત; ભાવૈ:—અવસ્થાઓ; એભિ:—આ સર્વ; સર્વમ્—સંપૂર્ણ; ઈદમ્—આ; જગત—જગત; મોહિતમ્—મોહિત; ન—નહિ; અભિજાનાતિ—જાણ; મામ્—મને; એભ્ય:—આ; પરમ—પરમ; અવ્યયમ્—અવિનાશી.
BG 7.13: માયાના ત્રણ ગુણોથી મોહિત, આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
અગાઉના શ્લોકો સંભાળીને અર્જુને કદાચ વિચાર્યું હોય, “હે ભગવાન! જો આવી તમારી વિભૂતિ છે, તો પછી હે કૃષ્ણ, કરોડો લોકો શા માટે તમને પરમ નિયંતા અને સૃષ્ટિના સ્રોત તરીકે જાણતા નથી?” આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે, લોકો માયાના ત્રણ ગુણો, તમસ, રાજસ અને સત્ત્વથી ભ્રમિત થયેલા છે. માયાના આ ત્રણ ગુણો તેમની ચેતનાને આચ્છાદિત હોવાના પરિણામે તેઓ શારીરિક સુખોના ક્ષણભંગુર આકર્ષણથી મોહિત થઈ જાય છે.
‘માયા’નો એક અર્થ તેના મૂળ મા (નહીં) અને યા (શું છે) પરથી આવ્યો છે. આ પ્રમાણે માયા અર્થાત્ “તે નથી જે દેખાય છે.” ભગવાનની શક્તિ તરીકે માયા પણ તેમની સેવામાં વ્યસ્ત હોય છે. તેની સેવા છે કે તે એ જીવાત્માથી ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છુપાવી રાખે છે કે જેમણે હજી સુધી ભગવદ્-પ્રાપ્તિની પાત્રતા પ્રાપ્ત કરી નથી. તેથી માયા એ જીવાત્માઓને મોહિત અને વિક્ષિપ્ત કરી દે છે કે જેઓ ભગવાનથી વિમુખ (ભગવાન તરફ પીઠ કરી દીધી) હોય છે. સાથોસાથ, માયા જીવાત્માને પ્રકૃતિના ત્રણ પ્રકારના દુ:ખોને આધીન અનેક આપત્તિઓથી ઘેરીને તેમને પરેશાન કરે છે. આ પ્રમાણે, તે જીવાત્માને એવી અનુભૂતિ કરાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેઓ ભગવાનની સન્મુખ નહિ થાય ત્યાં સુધી તેઓ કદાપિ સુખી થઈ શકશે નહીં.